Tuesday, January 30, 2018

મહાત્મા ગાંધીજીનો અંતિમ દિન


  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો અંતિમ દિન
કોઈ આર્ષદૃષ્ટા પયંગબર આવનારા દિવસોની એંધાણીની આગાહી કરતા હોય એમ મહાત્મા ગાંધીજીએ ૧૯૪૮ જાન્યુઆરીની ૨૯મી તારીખે એટલે કે તેમના પર જીવલેણ ગોળી છોડવામાં આવી તેના એક જ દિવસ અગાઉ ઉચ્ચારેલા ઉપરોક્ત શબ્દો કેટલાબધા સૂચક છે? તા. ૩૦મી જાન્યુઆરી ગાંધીજીનો નિર્વાણ દિન છે. આપણે એને શહીદ દિન તરીકે ઓળખીએ છીએ ત્યારે એ વિશ્વવિભૂતિનો આખરી દિવસ કેવો હતો એની ઝાંખી કરીએ.

મહાત્મા ગાંધીનાં જીવનનો અંતિમ દિવસ છેક દક્ષિણ આફ્રિકામાં તેમણે ઘડેલા નિત્યક્રમ મુજબ મળસ્કે ચાર વાગે પ્રભુપ્રાર્થનાથી શરૂ થયો હતો. બાપુ અને એમના અંતેવાસીઓએ એ દિવસે સવારે ભગવદ્ ગીતાના પહેલા અને બીજા શ્લોકનું પઠન કર્યું હતું. એ શ્લોકોનો સાર પણ ઘણો સૂચક છે.
જન્મેલા માટે મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલા માટે જન્મ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય ઘટના ઉપર માનવીએ વિશાદ ન કરવો જોઈએ.”
માત્ર તેર કલાકના છેટે રહેલા કરાલ કાળનું જાણે કે પ્રથમ કહેણ હોય એમ એમની પ્રિય ગીતાના શ્લોકોનો ધ્વનિ વાતાવરણમાં પ્રસરી રહ્યો હતો.
સવારની પ્રાર્થના પૂરી થયે મનુબહેન ગાંધીજીને એમના બાજુના ઓરડામાં ટેકો આપી લઈ ગયાં. બાપુ એ દિવસોમાં પાકિસ્તાન જવાનું વિચારતા હતા, પરંતુ શરીરમાં એટલી અશક્તિ હતી કે એકથી બીજા ખંડમાં પણ કોઈના ટેકા વગર જઈ શકતા નહોતા. નાનકડકં મેજ નજીક બેસીને તેમણે મનુબહેનને કહ્યું કે, ”મારે આજે આખો દિવસ ભજનની બે કડીનું રટણ કરવું છે. હે માનવ, તું થાક્યો હોય કે ન થાક્યો હોય તારે વિસામો લેવાનો નથી.” મનુબહેને પૂછયું, ”આ ભજન જ કેમ?” પરંતુ બાપુએ જવાબ ન આપ્યો. કોને ખબર હતી કે એમના અનંત વિસામાને હવે થોડા કલાકનું જ અંતર છે.
ઘડિયાળના કાંટે અંતિમ દિવસ
મળસ્કે ૩.૩૦ વાગે ઉત્થાન.
૩.૪૫ વાગે પ્રાતઃક્રિયા પતાવી પ્રાર્થનામાં સામેલ.
૪.૩૦ વાગે પોતાના ખંડમાં ગયા અને પાછલી રાતે પોતે લખેલ કોંગ્રેસનાં બંધારણમાં સુધારો-વધારો કર્યો.
૪.૪૫ વાગે મધમિશ્રિત લીંબુનો રસ લીધો. એ પછી વાંચન.
૫.૪૫ વાગે સંતરાનો રસ પીને અડધો કલાક આરામ કર્યો.
૬.૧૫ ટપાલમાં આવેલા પત્રોનો જવાબ લંબાવ્યો.
૭.૦૦ અમેરિકા જઈ રહેલા રાજન નહેરુને મુલાકાત આપી અને સ્નાન વગેરે ક્રિયા પતાવી.
૯.૩૦ હળવો નાસ્તો કર્યો.
૧૦.૩૦ તબિયત ઠીક ન લાગતાં આરામ માટે ખંડમાં ગયા.
બપોરે ૧૨.૦૦ વાગે ઊઠયા અને ફરી ગરમ પાણીમાં લીંબુનો રસ લીધો.
૧૨.૩૦ વાગે દિલ્હીના એક પરિચિત ડોક્ટર સાથે નર્સિંગહોમ અને અનાથાશ્રમ ખોલવા અંગે ચર્ચા કરી.
૧.૩૦ વાગે દિલ્હીનાં કોમી રમખાણો અંગે બ્રિજકિશોર સાથે વાતચીત કરી.
૨.૧૫ વિવિધ પ્રતિનિધિમંડળોને મુલાકાત આપી.
૩.૧૫ ફ્રાન્સના એક તસવીરકારે એમના ફોટાનું એક આલબમ ભેટ આપ્યું.
૪.૦૦ વાગે ભોજન લઈ ચરખો કાંતતાં કાંતતાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અનેકવિધ પ્રવર્તમાન મુદ્દાઓ વિશે વિચારવિમર્શ કર્યો.
સાંજે ૫.૦૫ સાયં પ્રાર્થનાસભામાં જવા માટે બિરલા હાઉસના મુલાકાતી ખંડમાંથી બહાર આવ્યા અને મનુબહેન ગાંધી અને આભાબહેન ગાંધીના ખભે હાથ મૂકી પ્રાર્થનાસ્થળ તરફ ચાલી રહ્યા હતા.
૫.૧૬ નથુરામ ગોડસેએ ૩૮ બેરેટા સેમિઓટોમેટિક પિસ્તોલ દ્વારા ત્રણ ગોળીઓ તેમની છાતી પર ધરબી દીધી.
૫.૧૭ વાગે બિરલા હાઉસની લોનમાં ‘હે રામ’ કહેતાં દેહ છોડયો.
૫.૨૩ સરદાર પટેલનું આગમન.
૫.૨૫ પં. નહેરુનું આગમન.
૫.૨૮ લોર્ડ માઉન્ટબેટનનું આગમન.
૫.૪૦ વાગે વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સત્તાવાર જાહેરાત કરી.
ગાંધીજી સાથે છેલ્લા મુલાકાતી હતા સરદાર પટેલ. વાસ્તવવાદી સરદાર અને આદર્શવાદી નહેરુ વચ્ચેના મતભેદો એ ગાંધીજી સાથેની છેલ્લી ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો. એ સંદર્ભમાં નહેરુની સરકારમાંથી રાજીનામું આપતા સરદારના પત્રની નકલ ગાંધીજીનનાં નાનાં મેજ પર જાણે મંત્રણાની સાક્ષી સ્વરૂપે પડી હતી, પરંતુ સરદાર સાથેની ગાંધીજીની છેલ્લી મંત્રણામાં તેઓ સરદારને રાજીનામું રોકી રાખવા સમજાવી શક્યા હતા. ગાંધીજીએ સરદારને ખાતરી આપી હતી કે આપણે આ બાબતની ત્રણે જણા-ગાંધીજી-સરદાર-નહેરુ ભેગા મળીને ચર્ચા કરીશું અને દેશનાં હિતમાં તમે બંને સાથે કામ કરો એવો કંઈક નીવેડો લાવીશું.
પરંતુ ભારતનું એ દુર્ભાગ્ય કે ગોડસેની ગોળીએ એ અમૂલ્ય ઘડી આવવા ન દીધી.
સત્તા, સંપત્તિ કે શસ્ત્ર સિવાય પણ સેવા થઈ શકે છે એવું અભૂતપૂર્વ કામ ગાંધીજીએ પોતાનાં જીવનકાર્ય દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. વિશ્વની સૌથી મોટી સ્મશાનયાત્રા ગાંધીજીની હતી. જેમાં સ્વયંભૂ શિસ્તમાં ૩૦ લાખથી વધુ માનવમેદની સામેલ હતી.
ગાંધીજીની લોકપ્રિયતા એ છે કે વિશ્વના ઘણાખરા દેશોમાં એમની પ્રતિમા કે રોડથી નામાંકિત છે. વિશ્વના વધુમાં વધુ દેશોમાં એમની પોસ્ટલ સ્ટેમ્પ પ્રસિદ્ધ થઈ છે. વિશ્વની ૪૦થી વધુ ભાષામાં એમની આત્મકથાનો અનુવાદ થયો છે, ઉપરાંત બેસ્ટ સેલર્સ તરીકે વિશ્વમાં તેની ગણના થાય છે.
૩૦મી જાન્યુઆરીએ વિશ્વવંદનીય વિભૂતિની પુણ્યતિથિએ રાજઘાટ પર પુષ્પાંજલિ, બે મિનિટનું મૌન, પ્રાર્થનાસભા, ચરખાકાંતણ જેવા ક્રિયાકાંડો દ્વારા ચીલાચાલુ સ્મૃતિતર્પણ કરવામાં આવશે. અહિંસાના પૂજારીનાં પવિત્ર સ્થળે સ્ટેનગનોથી સજ્જ સલામતીરક્ષકોથી ઘેરાયેલા રાજપુરુષો ફૂલમાળા અર્પણ કરશે, પરંતુ ગાંધીજીના આચાર-વિચાર સાથે તેઓને સ્નાનસૂતકનો પણ સંબંધ નથી માત્ર ગાદી સાથે જ સંબંધ છે ત્યારે કવિ મકરંદની કાવ્યપંક્તિનું સ્મરણ થાય છે.
એ દેશની ખાજો દયા.
તારીખ ૩૦મી જાન્યુઆરી
સાંજનો શુક્રવાર
ગોડસેની ગોળીએથી વીંધાયા
દેશના તારણહાર
ગાંધીજીનાં સ્મરણો આવે
સૌનાં હૈયાને ભાવે
સંત શિખામણ આપી ગયા એક
પાળવા સારુ ટેક
આઝાદ ભારતને આબાદ કરજો
રાખજો રુડો વિવેક
ગાંધીજીનાં સ્મરણો આવે
સૌનાં હૈયાને ભાવે.

No comments:

Post a Comment

સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ

                   શક્તિ અને સામર્થ્ય નો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ,૧૮૬૩ના રોજ કોલકાતા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો....